કૃષ્ણ…
લેખકો કવિઓ દ્વારા સૌથી વધુ લખાયેલ વિષયોમાં એક વિષય એટલે શ્રીકૃષ્ણ. મહાભારત,ભગવદ્દગીતા સિવાય ગુજરાતી સાહિત્યમાં પણ કૃષ્ણ વિશે ઘણું લખાયું છે. એ ક.મા. મુનશી દ્વારા લખાયેલ ‘કૃષ્ણવતાર’ હોય કે કાજલ ઓઝા વૈદ ની ‘કૃષ્ણાયન’. નરસિંહ મહેતાના ‘શામળા ગિરધારી’ હોય કે મીરાના ‘ગિરિધર નાગર’. કૃષ્ણ વિશે હંમેશા ઘણું લખાયું છે, ઘણું કહેવાયું છે.
છતાં દર વખતે કંઈક નવું જાણવા મળે એવું વિશાળ વ્યક્તિત્વ છે શ્રીકૃષ્ણનું. કૃષ્ણને તમે જે દ્રષ્ટિ થી જુઓ, એ પ્રમાણે તમને કૃષ્ણ મળશે. યશોદાની નજરથી જોશો, તો પુત્ર સ્વરૂપે મળશે. બલરામની નજરે એક ભાઈ રૂપે મળશે. રાધાની નજરે જોશો તો પ્રિયતમ દેખાશે, તો રૂકમનીની નજરે જોશો તો આદર્શ પતિ દેખાશે. સુદામાની નજરે કે દ્રૌપદીની નજરે એ પ્રિય મિત્ર,પ્રિય સખા સ્વરૂપે મળશે.
પણ મારે એ વાત નથી કરવી. મારે વાત કરવી છે એ કૃષ્ણની જે આપણી સાથે હોય છે. મારે પૂર્ણ પુરુષોત્તમની નહીં પણ સંતાન માટે પૂર્ણ રીતે ઉત્તમ પુરુષની વાત કરવી છે.
પિતા…. આપણા દરેકના જીવનના શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ ઉપર જણાવ્યું તેમ અલગ અલગ દ્રષ્ટિ મુજબ અલગ અલગ દેખાય છે. પણ એક સંતાન માટે પિતા આ બધા વ્યક્તિત્વ નિભાવે છે.
જીવનસંગ્રામમાં સંતાન જ્યારે હથિયાર નીચે મૂકી દે, ત્યારે સારથી બની તેનો જીવનરથ આગળ લઈ જાય છે. એક પિતાની બધી બાબત જો ધ્યાનથી સમજશો તો ગીતાનો સાર તેમાં જ મળી જશે. અને દરેક સંતાન માટે જીવનમાં એક સમયે પિતા તેના માટે મિત્ર પણ બની જાય છે.
આખી દુનિયા સામે પોતાની જીદ માટે નમતું ન જોખનારો પુરુષ જ્યારે પોતાની દીકરી ડાયાબિટીસને કારણે ગળ્યું ન ખાવા માટે ખીજાય ત્યારે એક કહ્યાંગરા પુત્રની જેમ અક્ષર પણ કહેતા નથી.
પિતા સંતાનનું જીવન કૃષ્ણની વાંસળી જેવું મધુર બનાવે છે, અને સંતાનના ભવિષ્ય માટે ‘રણછોડ’ બની પોતાના સપનાઓથી દૂર થઈ જાય છે, તો ક્યારેક ‘ગોવર્ધન’ જેવડી મુસીબતો એકલે હાથે ઉપાડી ને સંતાનની રક્ષા કરે છે.
માતા બ્રહ્માની જેમ સર્જન કરે છે, પણ વિષ્ણુ(કૃષ્ણ) ની જેમ પાલન પિતા જ કરે છે. પોતાને અભાવ હોય એ બની શકે, પણ સંતાનને એ ક્યારેય કોઈ વાતનો અભાવ વર્તવા નથી દેતા. શ્રીકૃષ્ણ રાજા હતા ત્યારે તેમણે ‘તંદુલ’ના સુદામાને ઘણું આપ્યું હતું, પણ એક પિતા પોતાની પાસે કંઈ ન હોવા છતાં કોઈપણ બદલાની અપેક્ષા વગર સર્વસ્વ સંતાનને આપી દે છે.
માટે મેં પહેલા કહ્યું એમ, શ્રીકૃષ્ણ તો પૂર્ણપુરુષોત્તમ છે, પણ એક સંતાન માટે એક પિતા પૂર્ણ રીતે ઉત્તમ પુરુષ છે. હા, દુનિયાના બીજા વ્યક્તિઓ માટે એ પુરુષમાં ઘણી ખામીઓ હોય શકે છે, પણ એક પિતા હંમેશા પૂર્ણ રીતે ઉત્તમ હોય છે, હંમેશા દોષરહિત હોય છે.
આજ સુધી આપણે ઘણા મંદિરોમાં ભગવાનને શોધ્યા છે, એકવાર પિતાને આ દ્રષ્ટિથી જોવાની કોશિશ કરજો, બની શકે છે તમને પણ તેમાં શ્રીકૃષ્ણ દેખાય જાય.
જય શ્રીકૃષ્ણ