Search

શબ્દોની દુનિયા

Tag

love

બાકી તો કાંઈ નથી

વાક્ય એક થોડુંક ખુચ્યું છે, બાકી તો કાંઈ નથી,
હૃદયમાં જરાક અમસ્તું દુખ્યું છે,બાકી તો કાંઈ નથી

ભાંગી ને ભુક્કો તો નહીં જ થાઉં હું, મજબૂત છું,
હા…અંદર થોડુંઘણું તૂટ્યું છે,બાકી તો કાંઈ નથી

હૃદયની કોરી પાટીમાં બહુ બહુ તો શું મળશે તને,
બસ તારું જ નામ ઘૂંટયું છે, બાકી તો કાંઈ નથી

ક્યારેક અટકી જવાય છે આગળ વધતા એ કારણે,
ઘણુંબધું પાછળ છૂટ્યું છે, બાકી તો કાંઈ નથી

કળિયુગ

મજબૂરીના બોજ નીચે આજ ઈમાન પણ આવી ગયું,
આજ ફરી એકવાર ‘કળિયુગ’નું હથિયાર ફાવી ગયું

અડગ હોવા છતાં ઉંચાઈને એ આંબી ન શક્યું,
ઝાડ એ સીધું હતું, એટલે કોઈ તેને કોઈ કાપી ગયું

સત્યને આજ શંકા છે પોતાની સાતત્યતા ઉપર,
અસત્યને જ્યારે કોઈ સત્ય બતાવી સમજાવી ગયું

પૈસા આપીને ખરીદી લે છે અમીરો તારા આશીર્વાદ ને,
હે ઈશ્વર,ભ્રષ્ટાચારમાં તો તારું પણ નામ આવી ગયું

આદર્શોની ઇમારતો એટલે ધરાશયી થતી જાય છે,
તેના પાયામાં કોઈ બેઇમાનીનું બીજ વાવી ગયું

જિંદગીના રંગમંચ પર અંતે તો બધા કલાકાર જ છે,
કોઈ લાભ લે છે આંસુનો, કોઈ સ્મિત નીચે દુઃખ છુપાવી ગયું

સાચવી રાખ્યો છે મેં

તને જોઈને હૃદયમાં ઉદ્દભવેલો ઝંકાર સાચવી રાખ્યો છે મેં,
ન લખાયેલા કેટલાયે શબ્દોનો ભાર સાચવી રાખ્યો છે મેં

ક્યારેક તો તું પાછી ફરીશ એ રાહમાં ને રાહમાં,
હૃદયના ખૂણામાં તારા નામનો ધબકાર સાચવી રાખ્યો છે મેં

બંધ થઈ ગયા છે જે ઘરના બારણાં હમેશા માટે,
ક્યારેક ત્યાંથી જ મળેલો મીઠો આવકાર સાચવી રાખ્યો છે મેં

‘મજબૂરી’ના બહાના પાછળ જે નિભાવી ન શકાયો,
આજીવન સાથે રહેવાનો એ કરાર સાચવી રાખ્યો છે મેં

એકબીજાના સુખ-દુઃખમાં હવે સાથે નથી,ચાલ માન્યું
પણ તારી માટે ચિંતા કરવાનો અધિકાર સાચવી રાખ્યો છે મેં

વર્ષો સુધી જીવ્યા પછીયે સમજાયો નથી જે ઘણાને,
નાની જિંદગીનો બહુ મોટો ‘ટુંકસાર’ સાચવી રાખ્યો છે મેં

પીડા દાટી છે

હૃદયની ઉથલપાથલ મેં પાંપણમાં દબાવી રાખી છે
આ શબ્દો વચ્ચે મેં મારી એકલતા દાટી છે

મુરઝાયા પછી પણ સુગંધ હજી અકબંધ છે,
જો ને આ મહેક નીચે ફૂલે કેટલી કથા દાટી છે

શાંત પડેલા મારા આ ઘાવોને ન ઉખેડો,
આ ઉઝરડાઓ નીચે મેં મારી પીડા દાટી છે

આંસુઓ સાથે ક્યાંક વહી ન જાય તારી યાદો,
માટે આ સ્મિત નીચે મેં મારી વ્યથા દાટી છે

જીવતેજીવ જે પુરી ન થઈ શકી ક્યારેય,
જો કબરમાં મેં તારી કરેલી પ્રતીક્ષા દાટી છે

પપ્પા અને કૃષ્ણ

કૃષ્ણ…

લેખકો કવિઓ દ્વારા સૌથી વધુ લખાયેલ વિષયોમાં એક વિષય એટલે શ્રીકૃષ્ણ. મહાભારત,ભગવદ્દગીતા સિવાય ગુજરાતી સાહિત્યમાં પણ કૃષ્ણ વિશે ઘણું લખાયું છે. એ ક.મા. મુનશી દ્વારા લખાયેલ ‘કૃષ્ણવતાર’ હોય કે કાજલ ઓઝા વૈદ ની ‘કૃષ્ણાયન’. નરસિંહ મહેતાના ‘શામળા ગિરધારી’ હોય કે મીરાના ‘ગિરિધર નાગર’. કૃષ્ણ વિશે હંમેશા ઘણું લખાયું છે, ઘણું કહેવાયું છે.

છતાં દર વખતે કંઈક નવું જાણવા મળે એવું વિશાળ વ્યક્તિત્વ છે શ્રીકૃષ્ણનું. કૃષ્ણને તમે જે દ્રષ્ટિ થી જુઓ, એ પ્રમાણે તમને કૃષ્ણ મળશે. યશોદાની નજરથી જોશો, તો પુત્ર સ્વરૂપે મળશે. બલરામની નજરે એક ભાઈ રૂપે મળશે. રાધાની નજરે જોશો તો પ્રિયતમ દેખાશે, તો રૂકમનીની નજરે જોશો તો આદર્શ પતિ દેખાશે. સુદામાની નજરે કે દ્રૌપદીની નજરે એ પ્રિય મિત્ર,પ્રિય સખા સ્વરૂપે મળશે.

પણ મારે એ વાત નથી કરવી. મારે વાત કરવી છે એ કૃષ્ણની જે આપણી સાથે હોય છે. મારે પૂર્ણ પુરુષોત્તમની નહીં પણ સંતાન માટે પૂર્ણ રીતે ઉત્તમ પુરુષની વાત કરવી છે.

પિતા…. આપણા દરેકના જીવનના શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ ઉપર જણાવ્યું તેમ અલગ અલગ દ્રષ્ટિ મુજબ અલગ અલગ દેખાય છે. પણ એક સંતાન માટે પિતા આ બધા વ્યક્તિત્વ નિભાવે છે.

જીવનસંગ્રામમાં સંતાન જ્યારે હથિયાર નીચે મૂકી દે, ત્યારે સારથી બની તેનો જીવનરથ આગળ લઈ જાય છે. એક પિતાની બધી બાબત જો ધ્યાનથી સમજશો તો ગીતાનો સાર તેમાં જ મળી જશે. અને દરેક સંતાન માટે જીવનમાં એક સમયે પિતા તેના માટે મિત્ર પણ બની જાય છે.

આખી દુનિયા સામે પોતાની જીદ માટે નમતું ન જોખનારો પુરુષ જ્યારે પોતાની દીકરી ડાયાબિટીસને કારણે ગળ્યું ન ખાવા માટે ખીજાય ત્યારે એક કહ્યાંગરા પુત્રની જેમ અક્ષર પણ કહેતા નથી.

પિતા સંતાનનું જીવન કૃષ્ણની વાંસળી જેવું મધુર બનાવે છે, અને સંતાનના ભવિષ્ય માટે ‘રણછોડ’ બની પોતાના સપનાઓથી દૂર થઈ જાય છે, તો ક્યારેક ‘ગોવર્ધન’ જેવડી મુસીબતો એકલે હાથે ઉપાડી ને સંતાનની રક્ષા કરે છે.

માતા બ્રહ્માની જેમ સર્જન કરે છે, પણ વિષ્ણુ(કૃષ્ણ) ની જેમ પાલન પિતા જ કરે છે. પોતાને અભાવ હોય એ બની શકે, પણ સંતાનને એ ક્યારેય કોઈ વાતનો અભાવ વર્તવા નથી દેતા. શ્રીકૃષ્ણ રાજા હતા ત્યારે તેમણે ‘તંદુલ’ના સુદામાને ઘણું આપ્યું હતું, પણ એક પિતા પોતાની પાસે કંઈ ન હોવા છતાં કોઈપણ બદલાની અપેક્ષા વગર સર્વસ્વ સંતાનને આપી દે છે.

માટે મેં પહેલા કહ્યું એમ, શ્રીકૃષ્ણ તો પૂર્ણપુરુષોત્તમ છે, પણ એક સંતાન માટે એક પિતા પૂર્ણ રીતે ઉત્તમ પુરુષ છે. હા, દુનિયાના બીજા વ્યક્તિઓ માટે એ પુરુષમાં ઘણી ખામીઓ હોય શકે છે, પણ એક પિતા હંમેશા પૂર્ણ રીતે ઉત્તમ હોય છે, હંમેશા દોષરહિત હોય છે.

આજ સુધી આપણે ઘણા મંદિરોમાં ભગવાનને શોધ્યા છે, એકવાર પિતાને આ દ્રષ્ટિથી જોવાની કોશિશ કરજો, બની શકે છે તમને પણ તેમાં શ્રીકૃષ્ણ દેખાય જાય.

જય શ્રીકૃષ્ણ

શું કરવું?

ક્યારેક અથડાઈને લાગણીઓ પાછી ફરે તો શું કરવું?
ઘણું કરવા છતાં પણ થોડીક ઓછી પડે તો શું કરવું?

બહુ કાળજીપૂર્વક આંસુઓને આંખમાં રોકી રાખ્યા હોય,
પણ કોઈની યાદ આવતા આંખો વરસી પડે તો શું કરવું?

વર્ષો સુધી લાગણીઓની ઈંટોથી સંબંધની ઇમારત ચણી હોય,
નાનકડી તિરાડ પડતા આખી ઇમારત તૂટી પડે તો શું કરવું?

ગઝલના શબ્દે શબ્દે વણી લીધી છે વ્યથા આ હૃદયની,
વ્યથા લખવા જતા શ્યાહી જ ખૂટી પડે તો શું કરવું?

કેટકેટલા સ્વપ્નો જોઈ રાખ્યા હોય છે આ જીવનમાં,
સપના પુરા કરવા જ્યારે જિંદગી ટૂંકી પડે તો શું કરવું?

મારો ખાલીપો

મારો ખાલીપો…

હૃદયના એકાદ છાના ખૂણામાં આખી દુનિયાથી સંતાડી રાખેલો…મારો ખાલીપો.

કોઈકની યાદોથી,
કેટલીયે ફરિયાદોથી,
કોઈકના સ્મરણોથી,
એમની સાથે વિતાવેલી ક્ષણોથી,
એવી કેટલીયે વાતોથી છલોછલ ભર્યો છે મારો આ ખાલીપો.

ભૂતકાળમાં છૂટી ગયેલી વ્યક્તિ સાથે હું આજે પણ મારા આ ખાલીપામાં જીવી શકું છું, વાત કરી શકું છું, એમનો સ્પર્શ અનુભવી શકું છું.

જેમની ગેરહાજરીને કારણે આ ખાલીપો સર્જાયો છે, આ ખાલીપાની કારણે એમની સાથે જીવી શકું છું હું.

માની ન શકાય એવી વાત છે, કે આ ખાલીપાને કારણે મળતી પીડા એ મારા બળતા હૃદયને ટાઢક આપે છે.

હા, ક્યારેક આ ખાલીપાની આસપાસ વીંટળાયેલી એકલતા ચીસ પાડી ઉઠે છે. એકલતાની ચીસ મૂંગી હોય છે. છતાં તેના પડઘા ઘણા સમય સુધી સંભળાયા કરે છે અને અંતે તે પણ ખાલીપામાં સમાઈ જાય છે.

પણ છતાં, સાચવું છું હું એ ખાલીપા ને, હૃદયના એક અભિન્ન અંગ તરીકે. કારણ?? એ ખાલીપામાં હું હજી એમની સાથે રહી શકું છું.ધબકારે-ધબકારે એ મારામાં વહે છે. મારી દરેક રચનામાં લખાઈ છે એ, મારા દરેક શબ્દમાં મને સંભળાય છે એ.

મારી દરેક ક્રિયામાં એ પ્રત્યક્ષ હોવા છતાંય… હૃદયના એકાદ છાના ખૂણામાં આખી દુનિયાથી સંતાડીને રાખ્યો છે મેં….મારો ખાલીપો.

હાઈકુ

તારી યાદોથી,
‘ભર્યો’ છે છલોછલ,
મારો ‘ખાલીપો’.

ખાલીપો

તારી યાદોથી

‘ભર્યો’ છે છલોછલ,

મારો ખાલીપો

એક માત્ર તું

સાથે તો નથી
છતાં મારી યાદમાં
એક માત્ર તું

ઈશ્વર પાસે
દરેક ફરિયાદમાં
એક માત્ર તું

નહિ કહેલી,
કેટલીયે વાતમાં
એક માત્ર તું

મારી જ સાથે
મારા આ એકાંતમાં
એક માત્ર તું

મારા આ શબ્દો,
અને મારા શ્વાસમાં
એક માત્ર તું

Create a free website or blog at WordPress.com.

Up ↑